ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જુના દિવા ગામમાં રહેતા ખેડૂત વસાવા દિનેશભાઈ લક્ષ્મણભાઇએ જણાવ્યું કે, બાપદાદા પાસેથી ખેતી મને વારસામાં મળી છે. હું છેલ્લા 10થી 15 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે. જુના દીવા ગામમાં તાડના 1000 કરતા પણ વધારે ઝાડ છે. વર્ષો જૂના તાડના આ ઝાડ કુદરતી રીતે જ ઊગ્યા છે. જેમાં ઉનાળાની સીઝન દરમિયાન એક દિવસમાં 5000થી વધારે તાડફળી ઉતરે છે. જેના માટે મજૂરને 1000 રૂપિયા મજૂરી ચૂકવવી પડે છે. સાથોસાથ તાડફળીને કટીંગ કરીને બહાર કાઢવા માટે 500 રૂપિયા ચૂકવવા પડે છે.
તાડના ઝાડ વધુ પ્રમાણમાં ભારતના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે મહારાષ્ટ્રના કોંકણ, ગોવા તેમજ દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં જોવા મળે છે. ભરૂચના કેટલાક ગામમાં પણ તાડના ઝાડ આવેલા છે. જેમાં અંકલેશ્વર તાલુકાના જૂના દિવા ગામનો પણ સમાવેશ થાય છે. જેથી ઉનાળાની ઋતુમાં તાડફળીની ખેતી કરી ખેડૂતો સારી આવક મેળવે છે.
તાડફળીનો માર્કેટ ભાવ 600 થી 700 રૂપિયા
આ વર્ષે તાડફળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે તાડફળીનો માર્કેટ ભાવ 400 રૂપિયા મણનો હતો. જોકે આ વર્ષે માર્કેટમાં કેરી ઓછી જોવા મળતા તાડફળીની માંગમાં વધારો જોવા મળ્યો છે. તાડફળીનો માર્કેટ ભાવ 600 થી 700 રૂપિયા ચાલી રહ્યો છે. જો કે બજારમાં તાડફળી અલગ અલગ ભાવે વેચાય છે. દસ રૂપિયાની એક તાડફળી મળે છે, તો 100 રૂપિયાની 10 પણ વેચવામાં આવે છે. આ તાડફળીનું અંકલેશ્વર માર્કેટમાં વેચાણ કરાય છે. તો સુરત સહિતના સ્થળોએથી મોટા વેપારીઓ હોલસેલ ભાવે લેવા માટે આવે છે.
ઉનાળામાં તાડફળીનું સેવન ગુણકારી
તાડની શરૂઆત માર્ચ એન્ડિંગથી થાય છે. જે જૂન મહિના સુધી મળતી રહે છે. આપમેળે ખરી જતી તાડફળી ખાવાલાયક રહેતી નથી. તાડફળીનો સ્વાદ મીઠો હોય છે. તેનું સેવન કરવાથી શરીરમાં પાણીના પ્રમાણમાં ઘટાડો થતો નથી. તે ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. ઉનાળાના સમયે શરીરમાં પાણી ઓછું થઈ જવાની ઉણપ દુર કરીને ઝેરીલા પદાર્થો બહાર કાઢે છે. જેથી પાચન ક્રિયા સારી થાય છે. ત્વચામાં બળતરા અને ડીહાઈડ્રેશનની સહિતની સમસ્યાથી રાહત મેળવવા માટે તાડફળી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.